- રાત્રિ દરમિયાન ગાઢ નિંદ્રામાં જ તીક્ષ્ણ હથિયાર વડે માથામાં ઘા ઝીંકી હત્યા કરાઈ
ગાંધીનગરનાં ગુજરાત નેશનલ લો યૂનિવર્સિટી રોડ પર ચાની કિટલી પર રહેતા શ્રમજીવીની રાત્રીના સમયે ગાઢ નિંદ્રામાં જ તીક્ષ્ણ હથિયાર વડે કરપીણ હત્યા કરી દેવામાં આવી છે. આ ઘટના બાદથી ચાની કિટલી ચલાવતી મહિલા નાસી ગઈ હોવાથી પોલીસે અલગ અલગ ટીમો બનાવીને ગુનાનો ભેદ ઉકેલવાની તાજવીજ હાથ ધરી છે.
ગાંધીનગરનાં રાયસણ ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી (GNLU) રોડ પર આવેલી ચાની કિટલી કમુ વણઝારા નામની મહિલા ચલાવે છે. જેની સાથે ઘણા સમયથી મૂળ છોટા ઉદેપુરનાં ચીછોડ ગામે મંદિર ફળિયામાં રહેતા 41 વર્ષીય સુખરામ રાઠવા પણ રહેતો હતો. બંને જણાં અહીં ચાની કિટલી ચલાવી ગુજરાન ચલાવતા હતા. ઉપરાંત સુખરામ અત્રેની કન્સ્ટ્રક્શન સાઈટ પર મજૂરી કામ પણ કરતો હતો.ગઈકાલે રાત્રિના સમયે સુખરામ અને કમુ નજીકમાં ખાટલા પર સુઇ રહ્યા હતા. તે દરમિયાન કોઈ અજાણી વ્યક્તિએ સુખરામનાં માથામાં તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરીને હત્યા કરી દેવામાં આવી હતી. આજે સવારે અહીંનાં વિસ્તારમાં કામ કરતાં મજૂરો નિત્યક્રમ મુજબ ચા પીવા માટે આવ્યા હતા. ત્યારે સુખરામની લોહી નીતરતી લાશ જોઈને ગભરાઈ ગયા હતા.
આ બનાવની જાણ થતાં નાયબ પોલીસ અધિક્ષક એમ કે રાણા, લોકલ ક્રાઇમ બ્રાંચ પીઆઈ જે એચ સિંધવ તેમજ ઈન્ફોસિટી પીઆઈ ડીમરી પોતાના કાફલા સાથે સ્થળ પર દોડી આવ્યા હતા. પોલીસે આસપાસના વિસ્તારમાં કામ કરતાં મજૂરોની પૂછતાંછ હાથ ધરતાં કમુ વણઝારા નામની મહિલા સાથે મૃતક રહેતો હોવાની વિગતો સાંપડી હતી. પરંતુ ઘટના સમયથી કમુ વણઝારા નાસી ગઈ હોવાનું પણ સામે આવ્યું છે.હાલમાં પોલીસ દ્વારા બે શકમંદોની પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે. તેમજ ડોગ સ્કવોર્ડ અને ફિંગર પ્રિન્ટ એક્સપર્ટની ટીમને બોલાવીને જરૂરી તપાસ શરૂ કરાઈ છે. ત્યારે પોલીસે અલગ અલગ ટીમો બનાવીને કમુ વણઝારાની શોધખોળ હાથ ધરી છે. આ અંગે ઈન્ફોસિટી પોલીસ મથકમાં હત્યાનો ગુનો નોંધી મૃતકની લાશ પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપવામાં આવી છે.
SOURCE – DIVYA BHASKAR