કોરોના કરતાં ટીબી વધુ ઘાતક:ગુજરાતમાં 5 મહિનામાં કોરોનાથી 825 વ્યક્તિઓના મોત થયાં, જ્યારે ટીબીથી 2675 દર્દીઓએ દમ તોડ્યો
ગુજરાતમાં છેલ્લા પાંચ મહિનામાં કોરોના કરતાં ટીબીની બિમારી વધારે ઘાતક ફેલાઈ રહી છે. જાન્યુઆરીથી મે મહિના સુધી ગુજરાતમાં ટીબીથી 2675 લોકોના મુત્યુ થયા છે. બીજી તરફ પાંચ મહિનાના આ સમયગાળામાં કોરોનાથી 825 વ્યક્તિઓએ જીવ ગુમાવ્યો છે. તેમજ પાંચ મહિનામાં 68 હજારથી વધુ વ્યક્તિ ટીબીનો ભોગ બન્યા છે.
આમ 2022 માં ટીબીનો રોગ કોરોના કરતાં પણ વધારે ઘાતક બન્યો .
ગુજરાતમાં 2022 માં જાન્યુઆરીથી મે મહિના દરમિયાન 68718 લોકો ટીબીનો ભોગ બન્યા છે. આ સ્થિતિએ ટીબીથી મૃત્યુદર ચાર ટકાથી વધારે નોધાયો. તદઉપરાત ગુજરાતમાં પ્રતિ મહિને સરેરાશ 13 હજારથી વધુ લોકો ટીબી થતા હોવાનું સામે આવ્યું છે.પાંચ મહિનામાં દેશના જે રાજ્યમાં ટીબીથી સૌથી વધુના મૃત્યુ થયા હોય તેવા રાજ્યોમાં ઉત્તર પ્રદેશ 6896 સાથે મોખરે, મહારાષ્ટ્ર 2845 સાથે બીજા જ્યારે ગુજરાત ત્રીજા સ્થાને છે. ગુજરાતમાં ટીબીના કેસમાં પણ ચિંતાજનક રીતે વધારો થઇ રહ્યો છે. વર્ષ 2018થી મે 2022 સુધી ગુજરાતમાંથી કુલ 6.47 લાખથી વધુ લોકોને ટીબી થયો છે.
ટીબીના દર્દીઓને સરકાર તરફથી મફત દવા આપવાની સુવિધા.
અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ટીબીના દર્દીઓમાં થઇ રહેલો વધારો ભયજનક બન્યો છે . ટીબીના દર્દીઓ માટે સરકાર દ્વારા વિવિધ પગલાં લેવામાં આવી રહ્યા છે. જેમાં રાજ્ય અને જિલ્લામાં જ્યાં ટીબીના કેસ વધારે હોય તેને અનુરૂપ અલગ-અલગ રણનીતિ બનાવવામાં આવી છે. ટીબીના દર્દીઓને નિઃશુલ્ક દવા આપવામાં આવે છે. કો-મોર્બિડ વસતી વધુ હોય ત્યાં એક્ટિવ ટીબી કેસ શોધવા માટે ખાસ અભિયાન હાથ ધરવામાં આવી રહ્યું છે. કોઇ પણ વ્યક્તિને ટીબીના સ્ક્નીનિંગ કે સારવાર માટે વધુ દૂર જવું પડે નહીં તે પ્રકારની ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ઉપરાંત ટીબી થયો હોય તેના પરિવારના સદસ્યોને પણ ચેપ લાગે નહીં માટે ખાસ દવા સહિતના પગલાઓ હાથ ધરવામાં આવ્યા છે.
ગુજરાતમાં ટીબીના કેસ-મૃત્યુ
વર્ષ | કેસ | મૃત્યુ |
2018 | 1,54,551 | 5704 |
2019 | 1,59,158 | 6436 |
2020 | 1,20,560 | 6870 |
2021 | 1,44,731 | 5472 |
2022 | 68718 | 2675 |