ગોંડલના સંત ૧૦૦૮ મહામંડલેશ્વર હરિચરણદાસજી મહારાજ બ્રહ્મલીન થયા છે. બાપુના દેવલોકગમનથી હજારો ભક્તોમાં શોકનું મોજું ફરી વળ્યું છે. આ માઠા સમાચાર મળતાં જ મોટી સંખ્યામાં ગુરુભાઈઓ સહિત તેમના ભક્તો દર્શન માટે ઊમટ્યા છે. હાલ ક્રિકેટર ચેતેશ્વર પૂજરા પોતાના પરિવાર સાથે તેમના ગુરુદેવના અંતિમ દર્શન માટે આવી પહોંચ્યા હતા. હરિચરણદાસજીએ ૧૦૦ વર્ષની ઉંમરે સવારે ૪ વાગ્યા આસપાસ અંતિમ શ્વાસ લીધા હતા. સવારે ૮ વાગ્યાથી તેમના પાર્થિવદેહને મંદિરમાં અંતિમ દર્શન માટે રાખવામાં આવ્યો છે. ત્યાર બાદ ગોરા આશ્રમમાં લઇ જવામાં આવશે, જ્યાં આવતીકાલે સવારે અંતિમ વિધિ કરવામાં આવશે. ભારતીય ક્રિકેટર ચેતેશ્વર પૂજારા ગુરુ માનતો હતો. સૌકોઈ જાણે છે કે ક્રિકેટર ચેતેશ્વર પૂજારા ગોંડલ રામજી મંદિરના મહંત એવા હરિચરણદાસ બાપુમાં કેટલી શ્રદ્ધા ધરાવે છે. ચેતેશ્વર જ્યારે પણ ટીમ ઇન્ડિયા માટે રમવા જાય છે. ત્યારે તે સૌપ્રથમ સિરીઝની શરૂઆત થતાં પહેલાં પરિવાર સાથે જઈ હરિચરણદાસ બાપુના આશીર્વાદ જરૂર લે છે. પોતાનો જન્મદિવસ હોય કે પોતાની પત્નીનો જન્મદિવસ હોય કે પછી પોતાની લગ્નની વર્ષગાંઠ હોય કે પછી ગુરુ પૂર્ણિમા.
ચેતેશ્વર પૂજારા હરિચરણદાસ બાપુના આશીર્વાદ ચોક્કસ લે છે તો સાથે જ તેમનું પૂજન-અર્ચન કરી તેમની આરતી પણ ઉતારે છે. બાપુનું મૂળનામ હરિશ્ચંદ્ર મિસરાજ હતું. ઇસવીસન ૧૯૨૧માં ચૈત્ર સુદ ૬ના દિવસે બિહારના પંજરવામાં જન્મ થયો હતો. ત્યાર બાદ ૧૯૫૫માં ગુરુદેવ રણછોડદાસજીની આજ્ઞાથી ગોંડલમાં આશ્રમનું સંચાલન શરૂ કર્યું હતું. છેલ્લાં ૭૦ વર્ષથી તેઓ અહીં રહી સેવા કરી રહ્યા છે. ૩૪ વર્ષની યુવાન વયે બાપુએ આશ્રમનું સંચાલન હાથમાં લીધું હતું. તેમના ગુરુજી સદગુરુ દેવ રણછોડદાસજી મહારાજના સાંનિધ્યમાં સરિયુ નદીના કિનારે ભજન કરતા હતા. ગોંડલમાં રહીને બાપુએ અનેક સેવાકીય કાર્યો કર્યા હતા, જેમાં ગોંડલમાં રામજી મંદિર બંધાવ્યું હતું. ત્યાર બાદ રામ સાર્વજમિક હોસ્પિટલની પણ સ્થાપના કરી હતી. પાંડુકેશ્વર, ઋષિકેશ, ઇન્દોર, કર્ણપ્રયાગ, બનારસ, ગોરા નર્મદા તટે સાધન-ભજન અને માનવસેવાની જ્યોત જલાવી હતી.
ગુરુદેવને ઓક્સિજન પર રાખ્યા છે. હરિચરણદાસ બાપુને શ્વાસની સમસ્યા સાથે ઇન્ફેક્શન થયાનું અને હાલ ગંભીર હાલત હોવાનું કિશોરભાઈ ઉનડકટે જણાવ્યું હતું. હાલ બાપુને ૧૦૦ વર્ષ થયા હોવાથી શતાબ્દી મહોત્સવ ઊજવાઈ રહ્યો છે. રઘુવંશી સમાજમાં રણછોડદાસ બાપુ બાદ હરિચરણદાસ બાપુનુ મહત્ત્વ ખૂબ જ વધુ છે, ફેબ્રુઆરી ૨૦૨૦માં અયોધ્યામાં હરિચરણદાસ બાપુનો પગ લપસી જતાં તેમને થાપાના ભાગમાં ઇજા પહોંચી હતી. ત્યારે વધુ સારવાર અર્થે તેમને રાજકોટ ચાર્ટર પ્લેન મારફત ખસેડવામાં આવ્યા હતા. થોડા સમય પહેલાં કેવડિયા પાસે ગોરા આશ્રમમાં પણ બાપુની તબિયત લથડી ત્યારે ગોંડલથી ડોક્ટરની ટીમ દોડી ગઇ હતી. બાદમાં સ્વાસ્થ્યમાં સુધારો આવ્યા બાદ તેઓ ગોંડલ રામજી મંદિર આવતા રહ્યા છે.