ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ વાલસુરા નેવી મથક ખાતે પ્રેસિડેન્ટ કલર્સ એવોર્ડ કાર્યક્રમમાં હાજરી આપવા શુક્રવારે સવારે જામનગર ખાતે આવી પહોંચ્યા હતા. રાષ્ટ્રપતિ જામનગર એરપોર્ટ ખાતે સવારે ૦૯ઃ૦૦ વાગ્યે ઉતર્યા હતા. ત્યારબાદ જામનગર એરપોર્ટ ખાતે તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. સવારે ૧૦ વાગ્યે વાલસુરા ખાતે પ્રેસિડેન્ટ કલર્સ એવોર્ડ કાર્યક્રમમાં તેમણે હાજરી આપી હતી. બપોરે એક વાગ્યે વાલસુરાથી એરપોર્ટ મથક માટે રવાના થશે.
ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ગુજરાતની બે દિવસીય મુલાકાતે છે. ત્યારે તેઓ જામનગર એરફોર્સ ખાતે આવી પહોંચતા તેમનું સ્વાગત અને ઉષ્માપૂર્ણ અભિવાદન ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, સાંસદ પૂનમબેન માડમ અને જામનગરના મેયર બીનાબેન કોઠારી દ્વારા કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા આઈએનએસ વાલસુરાને પ્રેસિડેન્ટ કલર્સ એવોર્ડથી સન્માનિત કરવામાં આવી હતી. આ પ્રસંગે કલેક્ટર ડો. સૌરભ પારઘી, અને ઈન્ચાર્જ પોલીસ અધિક્ષક નિતેશ પાંડેએ પણ ઉપસ્થિત રહી રાષ્ટ્રપતિનું સ્વાગત કર્યું હતું.