પત્રકાર એકતા સંગઠનના પ્રદેશ પ્રમુખ શ્રી લાભુભાઈ કાત્રોડિયા તથા પ્રદેશ પ્રભારી શ્રી ગૌરાંગ પંડ્યાના માર્ગદર્શન હેઠળ તા. 15/04/2022 ને શુક્રવારના રોજ અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં પત્રકાર એકતા સંગઠનની રચના કરવા માટે મિટિંગ યોજાઈ હતી. જેમાં ઝોન-9ના પ્રભારી શ્રી ભરતસિંહ રાઠોડ, અમદાવાદ જિલ્લા પ્રમુખ હસમુખભાઈ પટેલ અને ભરતભાઈ પ્રજાપતિ ઉપસ્થિત રહ્યાં હતાં.
પત્રકાર એકતા સંગઠનની રૂપરેખા રજૂ કરતાં ઝોન-9ના પ્રભારી ભરતસિંહ રાઠોડે જણાવ્યું હતું કે, ગુજરાતના 33 જિલ્લા અને તમામ 252 તાલુકા કારોબારી ધરાવતું રાજ્યનું સૌ પ્રથમ અને એકમાત્ર સંગઠન છે. તાલુકા કે જીલ્લા કક્ષાએ કાર્યરત પત્રકારો સંગઠન સાથે જોડાઈને નાના મોટા મતભેદો ભૂલીને એક થાય તે હેતુથી પત્રકારોનો અવાજ બુલંદ કરવા સંગઠિત થવા આહ્વાન કર્યું હતું.
અમદાવાદ જિલ્લા પ્રમુખ શ્રી હસમુખભાઈ પટેલે સંગઠનમાં જોડાવાથી થતાં ફાયદાઓ અને સંગઠનની તાકાત વિશે વિસ્તારથી સમજૂતી આપી હતી. આજના સમયમાં સંગઠન શક્તિ એ જ સર્વોપરિ છે. જેથી વધુને વધુ પત્રકારો આપણા સંગઠનમાં જોડાય તે માટે પ્રેરિત કર્યા હતા.
ધોળકા તાલુકાના પત્રકાર એકતા સંગઠનના પ્રમુખ તરીકે શ્રી જસ્મિનભાઈ દવેની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. જેને સૌ કોઈએ હર્ષ અને તાળીઓ સાથે વધાવી હતી. આ ઉપરાંત ઉપપ્રમુખ પદે શ્રી નરેશગિરિ ગૌસ્વામી, ગોહેલ સોહિલકુમાર અને જયપાલસિંહ મહીડાની નિમણૂંક કરાઈ હતી. જ્યારે મહામંત્રીપદે ભરતભાઈ બેલદાર તથા અરવિંદભાઈ ઠાકોરની નિમણૂંક કરાઈ હતી. તમામ હોદેદારોએ એકમતે પત્રકાર એકતા સંગઠનને મજબૂત કરવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો.