- 10મીથી શરૂ થતી પરીક્ષા અંગે 5મી બાદ નિર્ણય લેવાશે
- કોરોનાને પગલે છાત્રો ઓફલાઇન ક્લાસમાં આવતા નથી
ધોરણ 10-12 બોર્ડના વિદ્યાર્થીઓની 10 ફેબ્રુઆરીથી શરૂ થતી પ્રિલિમ પરીક્ષાઓ ઓનલાઇન લેવી કે ઓફલાઇન તે અંગે શાળાઓમાં અસમંજસ ભરી સ્થિતિ જોવા મળી રહી છે. કોરોનાના કેસોના પગલે ધોરણ 10 થી 12માં પણ વિદ્યાર્થીઓ ઓફલાઇન શિક્ષણ માટે આવી રહ્યા નથી.
શૈક્ષણિક વર્ષ 2022-23માં કોરોનાની પરિસ્થિતિના પગલે સરકારે પરીક્ષાની તારીખોમાં ફેરફાર કર્યો હતો. કોરોનાના કેસો વધવાના પગલે શિક્ષણ વિભાગે ધોરણ 1 થી 9ના વિદ્યાર્થીઓ માટે શાળાઓ ઓનલાઇન કરી દીધી હતી, જે 5 ફેબ્રુઆરી સુધી લંબાવવામાં આવી છે. બીજી તરફ કોરોનાના કેસોમાં વધારો થતાં સ્કૂલના વિદ્યાર્થીઓ અને શિક્ષકો પણ મોટી સંખ્યામાં પોઝિટિવ આવવાના પગલે ધોરણ 10 થી 12માં પણ ઓફલાઇન શિક્ષણમાં વિદ્યાર્થીઓની હાજરી નહિવત થઇ ગઇ છે. મોટાભાગના વિદ્યાર્થીઓ ઓનલાઇન અભ્યાસ કરી રહ્યા છે.
બીજી તરફ 10 ફેબ્રુઆરીથી ધોરણ 9 થી 12ની પ્રિલિમ પરીક્ષાઓ શરૂ થઇ રહી છે ત્યારે આ પરીક્ષા ઓનલાઇન મોડથી લેવી કે ઓફલાઇન તે અંગે અસમંજસ ભરી સ્થિતિ ઊભી થઇ છે. બોર્ડ દ્વારા હજુ સુધી પરીક્ષા કયા મોડથી લેવામાં આવશે તે અંગે કોઇ સ્પષ્ટતા કરી નથી. 5 ફેબ્રુઆરી પછી આ અંગેનો નિર્ણય લેવામાં આવે તેવી શક્યતા છે.