ગતદિવસોમાં રાજયભરમાં ગ્રામપંચાયતોની ચૂંટણીનો માહોલ સંપન્ન થતાં ચાહકો પોતાના માનિતા સરપંચો માટે માનેલી માનતાઓ પૂર્ણ કરવા તુલાના કાર્યક્રમો યોજી રહ્યાં છે, ત્યારે થરાદ તાલુકાના ભોરોલ અને સવપુરા ગૃપ ગ્રામપંચાયતના સરપંચો વિજય થતાં સવપુરામાં બિરાજમાન આઈશ્રી વડેચી માતાજીના ધામે ભૂવાજી સગથાભાઈ રાજપૂત તથા અર્જુનસિંહ શંકરાજી રાજપૂતે બંને સરપંચો માટે સાકર તુલા મહોત્સવ રાખી માનેલી માનતાઓ પૂર્ણ કરી હતી. જોકે સરપંચ પદે વિજયી બને તે માટે માનતા રાખી માનતા પૂર્ણ કરવા બદલ ભોરોલ ગ્રામપંચાયતના સરપંચ રામજીભાઈ ચૌહાણ અને સવપુરા ગૃપ ગ્રામપંચાયતના સરપંચ અમરાભાઈ કરશનભાઈ પટેલે તુલના કાર્યક્રમના આયોજક ભુવાજી સહિત સમસ્ત ગ્રામજનોનો આભાર માન્યો હતો. તેમજ સરપંચ પદે બંને ઉમેદવારો વિજયી થતાં પાંચ વર્ષ દરમિયાન વિકાસના કાર્યોને વધુ વેગવાન બનાવશે એવી ગ્રામજનોએ આશા વ્યક્ત કરી હતી, આ પ્રસંગે સવપુરા પંચાયતના માજીસરપંચ, દુધ મંડળીના મંત્રી, ભોરોલ અને સવપુરા ગામના વડીલો, યુવાનો સહિતના તમામ લોકો ઉપસ્થિત રહ્યાં હતાં.
અહેવાલ : અરવિંદ પુરોહિત, થરાદ