- મોબાઈલની લત છોડાવી રહ્યું છે અમદાવાદની સરકારી હોસ્પિટલમાં ચાલતું ડિજિટલ ડિટોક્સ સેન્ટર
- ડૉક્ટર્સે અનુભવના આધારે કહ્યું, 6થી 30 વર્ષના લોકોમાં મોબાઈલના વળગણનું પ્રમાણ વધુ
“બાળકોને મોબાઈલ આપવો જ ન જોઈએ.મોબાઈલના કારણે બાળકો એટલા એડીક્ટ થઈ જાય છે કે જ્યારે તેમની પાસેથી મોબાઈલ લઈ લઈએ ત્યારે તે જમતા નહીં, સતત રડ્યાં કરે અને તેમની માતાને પણ મારવા લાગે છે.આવા મોબાઇલના વ્યસનીઓનું વ્યસન છોડાવવા માટે હાલ અમદાવાદના દિલ્હી દરવાજા પાસે આવેલી ગવર્મેન્ટ મેન્ટલ હોસ્પિટલમાં રાજ્યનું પહેલું “ડિજિટલ ડીટોક્સ વેલનેસ સેન્ટર” ચાલી રહ્યું છે.
હાલમાં આવા અનેક કિસ્સાઓ આપણી સામે આવી રહ્યાં છે. જેમાં ટીનેજર્સને વિવિધ સોશિયલ મીડિયા પર કોરિયાના BTS વીડિયો જોવાની, વિવિધ પ્રકારની ગેમ્સ રમવાની આદત પડી ગઈ છે. આ આદત માત્ર અમદાવાદ જેવા સ્માર્ટ શહેરોના બાળકોમાં જ નહીં પરંતુ ગામડાંના બાળકોમાં પણ જોવા મળી રહી છે. ત્યારે વાલીઓ તેમના સંતાનોને થયેલાં આ વ્યસનથી મુશ્કેલીમાં મુકાઈ જાય છે. જેમાં છેલ્લા 6 મહિનામાં 6 વર્ષથી 30 વર્ષ સુધીના 147 લોકોએ અહીં સારવાર લઈને મોબાઈલના વ્યસનને ત્યજી દીધું છે.