રાજકોટના આણંદપર ગામે ખેતમજૂરી કરતા રાઘુ બચુભાઇ શિંગાળા નામના યુવાનને તેની પત્ની અનુ સાથે ત્રણ દિવસ પહેલા બોલાચાલી થતા ગુસ્સામાં તે ગવરીદળ ગામે રહેતા તેના ભાઇને ત્યાં રિસામણે જતી રહી હતી. દરમિયાન રિસામણે ગયેલી પત્નીને સમજાવવા માટે પોતે મોટાભાઇ, મિત્ર સાથે ગવરીદળ ગામે સાળાના ઘરે ગયા હતા. જ્યાં સાળા પ્રવીણ વસતા ડામોર સાથે બોલાચાલી થયા બાદ મામલો વધુ બિચકતા સાળાએ ધોકા સાથે હુમલો કર્યો હતો. જેમાં પોતાને ઇજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો જ્યારે બીજા બનાવમાં કુવાડવા શિવપરામાં રહેતા ધર્મેશભાઇ મેઘજીભાઇ ડોડિયા નામના યુવાનને પાડોશમાં વાડી ધરાવતા ભૂપતભાઇ અને તેના બે દીકરાએ ધોકાથી માર મારી ઇજા પહોંચાડ્યાની ફરિયાદ નોંધાવી છે. યુવાનની કોઠારિયા ગામે ખેતીની જમીન આવેલી હોય ત્યાં માતા-પિતા રહેતા હોય રવિવારે તેમને મળવા ગયો હતો.
વાડીની બાજુમાંથી પાણીના નિકાલ માટેનો વોંકળો ઉપરોકત પિતા-પુત્રોએ બૂરી નાંખતા બધુ પાણી વાડીમાં આવતું હતું. જેથી પોતે સમજાવવા જતા ત્રણેય પિતા-પુત્રો ઉશ્કેરાય જઇ પોતાને તેમજ પિતાને માર માર્યો હતો. મારામારીના બંને બનાવ કુવાડવા રોડ પોલીસ મથક વિસ્તારમાં બન્યા હોય પોલીસે ગુનો નોંધ્યો છે અને આગળની તપાસ હાથ ધરી છે.શહેરમાં સામાન્ય બની ગયેલા મારામારીના વધુ બે બનાવ પ્રકાશમાં આવ્યા છે. જેમાં આણંદપર ગામે રહેતા યુવાનને તેના સાળાએ, જ્યારે કુવાડવા ગામે રહેતા યુવાનને પાડોશી પિતા-પુત્રોએ માર મારતા મામલો પોલીસમાં પહોંચ્યો છે.