- શહેરમાં કોરોનાના નવા 958 કેસ જેની સામે 1499ડિસ્ચાર્જ, હવે140 હોસ્પિટલાઇઝ
- રસી ન લેનારા શહેરના 101વર્ષના વૃદ્ધા સહિત 4 લોકોના કોરોનાની સારવાર દરમિયાન મોત
રાજકોટ શહેરમાં કોરોનાના કેસની સંખ્યા એકદમથી વધી ગઈ છે અને પરિણામે એક જ મહિનામાં 16649 કેસ નોંધાયા છે. આ સાથે બીજી લહેરમાં એપ્રિલ માસમાં નોંધાયેલા કેસના 14000ના આંક કરતા પણ વધી ગયો છે. કોરોનાના નવા કેસની બાબતમાં તમામ પ્રકારના રેકોર્ડ જેવા કે સૌથી વધુ એક જ દિવસમાં કેસ, સૌથી વધુ પોઝિટિવિટી રેશિયો, સૌથી વધુ એક્ટિવ કેસ સહિતના રેકોર્ડ ત્રીજી લહેરમાં તૂટી ગયા છે. સદનસીબે મૃતાંક અને હોસ્પિટલાઈઝેશનમાં બીજી લહેર કરતા કેસ વધ્યા નથી. આથી તંત્રને ઘણી રાહત થઈ છે. જોકે ત્રીજી લહેર દરમિયાન એક જ દિવસમાં 4 મોત થવાનું પ્રથમ વખત બન્યું છે. આ તમામ દર્દીઓ વેક્સિનેટેડ ન હોવાનું તંત્રે જણાવ્યું હતું.
શહેરમાં 4 અને ગ્રામ્યમાં 1 મોત
ગઈકાલે 4 મોત થયા છે તેમાં 101 વર્ષના વૃદ્ધા, 79 વર્ષના વૃદ્ધા, 89 અને 55 વર્ષના વૃદ્ધનો સમાવેશ થાય છે. આ ત્રણમાંથી 89 વર્ષના વૃદ્ધે રસીનો એક ડોઝ લીધો હતો જ્યારે બાકીના ત્રણેયે રસી લીધી નહોતી. એટલે કે ચારમાંથી કોઇ ફુલ્લી વેક્સિનેટેડ ન હતા. તબીબોએ અગાઉ ઘણી વખત કહ્યું છે કે જે લોકોએ રસી લીધી છે તેમાં કોરોના ગંભીર અસર કરતો નથી. લોકો હોમ આઈસોલેશનમાં જ સાજા થઈ રહ્યા છે અને એક જ દિવસમા રસી વગરના 4 લોકોના મોતે ફરી સાબિત કર્યું છે કે રસીના બંને ડોઝ લેવાથી કોરોનાની ગંભીર અસરોથી બચી શકાય છે.
શહેરમાં હાલ 7423 એક્ટિવ કેસ
રાજકોટ શહેરમાં શુક્રવારે નવા 958 કેસ નોંધાયા હતા જેની સામે 1499 ડિસ્ચાર્જ થયા હતા. આ ઉપરાંત હાલ 140 દર્દી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. આ સહિત શહેરમાં કુલ 7423 એક્ટિવ કેસ છે. 4 મોત ઉપરાંત ગ્રામ્ય વિસ્તારમાં એક યુવાનનું મોત થયું હતું. 48 વર્ષનો આ યુવાન લિવર સંબંધી બીમારીથી પીડાઈ રહ્યો હતો અને આ દરમિયાન કોરોના લાગુ થતા સારવાર ચાલી રહી હતી. રાજકોટ ગ્રામ્યમાં શુક્રવારે નવા 255 કેસ તેમજ 249 ડિસ્ચાર્જ થયા હતા. આ સાથે એક્ટિવ કેસની સંખ્યા1809 થઇ છે.
એક માસમાં રાજકોટની 70 સ્કૂલના 122 વિદ્યાર્થીઓ-શિક્ષકો સંક્રમિત
રાજકોટમાં એક મહિના દરમિયાન 70 સ્કૂલના 72 વિદ્યાર્થીઓ અને 50 જેટલા શિક્ષકો સહિત કુલ 122 જેટલા વ્યક્તિ કોરોનાથી સંક્રમિત થયા હોવાનું જિલ્લા શિક્ષણાધિકારી બી.એસ.કૈલાએ જણાવ્યું હતું. આ ઉપરાંત હાલ પણ રાજકોટની છ શાળાઓમાં કોરોનાના કેસ હોવાને કારણે સ્કૂલ એક સપ્તાહ સુધી બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
તમામ સ્કૂલોમાં ઓનલાઈન શિક્ષણ અપાઇ રહ્યું છે
ઉલ્લેખનીય છે કે કેસ વધવાને કારણે સરકારે ધો.1થી 9ની સ્કૂલો બંધ કરવાનો નિર્ણય કર્યો છે. હાલ આ તમામ સ્કૂલોઓમાં ઓનલાઈન શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. સ્કૂલોમાં જ દરેક વિદ્યાર્થીને કોરોનાની રસી આપી દેવામાં આવી હોવાને કારણે સંક્રમિત થયેલા વિદ્યાર્થીઓ પણ ઘેરબેઠા જ કોરોનામાંથી સાજા થઇ ગયા હતા. હાલ 6 શાળામાં કેસ આવવાને કારણે એક સપ્તાહ સુધી બંધ કરાઈ છે.