જામનગરમાં INS વાલસુરામાં આયોજીત નૌસેનાના કાર્યક્રમમાં હાજરી આપશે
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આજે ગુજરાત વિધાન સભા ગૃહમાં હાજરી આપશે. ભારતની લોકશાહીના ઇતિહાસની આ પ્રથમ ઘટના હશે કે જેમાં રાષ્ટ્રપતિ કોઇ રાજ્યના વિધાનસભા ગૃહના ચાલુ સત્રમાં હાજરી આપીને તેના સભ્યોને સંબોધશે. ગુજરાત સરકારે આઝાદીનાં 75 વર્ષની ઉજવણી સંદર્ભે રાષ્ટ્રપતિ ગુજરાત વિધાનસભાને સંબોધિત કરશે. તેઓ આજે સવારે 9.30 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પહોંચશે. ત્યાંથી રાજભવન જશે.તેઓ 10.50 વાગ્યે વિધાનસભામાં બજેટસત્રની બેઠકમાં ધારાસભ્યોને સંબોધન કરશે.રાજભવનમાં રાત્રી રોકાણ બાદ બીજા દિવસે સવારે આઠ વાગે જામનગર માટે પ્રસ્થાન કરશે, જયાં INS વાલસુરામાં આયોજીત નૌસેનાના કાર્યક્રમમાં હાજરી આપશે.
રાષ્ટ્રપતિને ગાર્ડ ઓફ ઓનર આપશે
આઇએનએસ વાલસુરા ખાતે ભારતીય નૌકાદળના જવાનોને તાલીમ આપવામાં આવે છે. રાષ્ટ્રપતિને સૈન્યના 150 જવાનો ગાર્ડ ઑફ ઑનર આપશે. 1942માં સ્થપાયેલા આઇએનએસ વાલસુરા ખાતે અધિકારીઓથી લઈને નાવિકોને તાલિમ અપાય છે. આ પ્રસંગે ચીફ ઑફ નેવલ સ્ટાફ એડમિરલ હરિકુમાર સહિતના અધિકારીઓ હાજર રહેશે.
નૈતિક મૂલ્યો અને મૂળભૂત ફરજોને લઇને ભાષણ કરશે
આ દરમિયાન રાષ્ટ્રપતિ લોકશાહી, બંધારણ તેમજ નૈતિક મૂલ્યો અને મૂળભૂત ફરજોને લઇને ભાષણ કરશે. ગૃહનાં બન્ને પક્ષોએ રાષ્ટ્રપતિના આ કાર્યક્રમને સહર્ષ સ્વીકારી લીધો છે.જો કે રાષ્ટ્રપતિ વિધાનસભામાં આવી રહ્યા છે અને 24 જુલાઇના રોજ તેમની આ ટર્મ પૂર્ણ થવા જઇ રહી છે અને નવા રાષ્ટ્રપતિ માટેની ચૂંટણી તે પછી યોજાવાની છે. તે પૂર્વે રાષ્ટ્રપતિની આ મુલાકાતને ઘણી સૂચક ગણાવાઇ રહી છે. આ સાથે રાષ્ટ્રપતિ દ્વારકા અને જામનગરમાં પ્રવાસ હેતુ મુલાકાત લેવા જઇ રહ્યા છે અને અહીં તેઓ ભારતીય નૌકાદળના યુદ્ઘ જહાજ આઇએનએસ વાલસુરાને પ્રેસિડેન્ટ કલર એવોર્ડ તેની રાષ્ટ્રસેવા બદલ અર્પણ કરશે.
મુખ્યમંત્રીએ આમંત્રણ આપ્યું હતું
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાષ્ટ્રપતિ ગુજરાત પ્રવાસે આવવાના હોઈ તેમને ગુજરાત વિધાનસભાના ચાલુ સત્રમાં આવવા માટે આમંત્રણ આપ્યું હતું, તેનો કોવિંદે સ્વીકાર કર્યો છે. આ માટે મંગળવારે સાંજે તાબડતોબ વિધાનસભાની કામકાજ સલાહકાર સમિતિની બેઠક મળી હતી અને રાષ્ટ્રપતિના કાર્યક્રમ અંગેનો ઠરાવ પસાર કરાયો હતો. તેને લઇને ગુરુવારે મળનારી વિધાનસભા ગૃહની બે બેઠકોને બદલે માત્ર એક જ બેઠક યોજવાનો નિર્ણય કર્યો છે, જેથી તે દિવસની બેઠકના કામકાજની શરૂઆત જ રાષ્ટ્રપતિના સંબોધનથી થાય. રાષ્ટ્રપતિ સાથે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પણ તેમની સાથે રહેશે.
SOURCE – DIVYA BHASKAR