ધરોઇની કેનાલ ઓવરફ્લો થતા ગાબડું પડતાં ઉભા પાકમાં પાણી ફરી વળતાં ખેડૂતને નુકશાન
20 એકર જમીનમાં ઘઉં, રાયડો,તમાકુ,એરંડા જેવા ઉભા પાકને નુકશાન
વિસનગર તાલુકાના કમાના ગામે ધરોઈ કેનાલમાં પિયત માટે છોડવામાં આવેલું પાણી એક ખેડૂતના ખેતરમાં ફરી વળતાં ઉભા પાકને નુકશાન થયું છે.જેમાં ધરોઈ વિભાગની બેદરકારી સામે આવી છે.
ખેડૂતોના જણાવ્યાં અનુસાર યોગ્ય સમયે ધરોઈ કેનાલની સાફ સફાઈ કરવામાં ન આવતાં પાણીનું સ્તર ઉંચે આવતા સમગ્ર કેનાલ ઉભરાઈ ગઈ હતી. ત્યારબાદ ગાબડું પાડી પાણી ખેતરોમાં ઘુસી ગયા હતા.જેમાં રાયડો,ઘઉં, એરંડા,તમાકુ જેવા પાકને ભારે નુકશાન થવા પામ્યું છે.
આમ તો ધરોઈ વિભાગ પાણી ન આપતા ખેડૂતો બુમાં બુમ કરતા હોય છે પરંતુ કેનાલની કેપિસિટી બહાર મોટી માત્રમાં પાણી છોડતાં કેનાલ ઉભરાઈ જવાથી અંદાજે 20 એકર વાવેતરવાળા ખેતરોમાં પાણી ફરી વળતાં ખેડૂતોને ભારે નુકશાન ભોગવવાનો વારો આવ્યો છે..
ખેડૂતોની માગણી છે કે ધરોઈ વિભાગની બેદરકારીને કારણે જે ઉભા પાકને નુકશાન થયું છે તેનું વળતર આપવામાં આવે. પરંતુ આ બાબતે સરકારશ્રી દ્વારા કે ધરોઈ વિભાગ દ્વારા કેવા પગલાં લેવામાં આવશે તે કહી શકાય નહીં. ધરોઈ વિભાગની એક નાનકડી ભૂલ ખેડૂતના મહેનત ઉપર પાણી ફેરવી નાખે તેવો કિસ્સો કમાના ગામમાં જોવા મળ્યો છે.