ચાલુ વર્ષનો એડવાન્સ વેરો ભરનારને મહેસાણા પાલિકા 10% રાહત આપશે
મહેસાણા નગરપાલિકામાં નવું નાણાકીય વર્ષ 2022-23 શરૂ થતાં મિલકતદારોના ચાલુ વર્ષના વેરાના માગણાંબિલો જનરેટ કરવાની કામગીરી શરૂ કરાઇ છે. જેમાં બિલ તારીખથી એક મહિનાની અંદર એડવાન્સમાં વેરો ભરનાર મિલકતદારને વેરાની રકમમાંથી 10 ટકા રાહત (રિબેટ)નો લાભ મળશે. મિલકતદારો ચાલુ વર્ષનું હજુ માગણાં બિલ ન આવ્યું હોય તો પણ પાલિકાની વેરા શાખામાં નંબર આપી આ બિલ જનરેટ કરાવીને પણ એડવાન્સ વેરો ભરી રિબેટ યોજનાનો લાભ લઇ શકશે તેમ ચીફ ઓફિસર અલ્પેશભાઇ પટેલે જણાવ્યું હતું.મહેસાણા શહેરમાં રહેણાંક અને કોમર્શિયલ મળીને કુલ 85 હજાર મિલકતધારકોના ચાલુ વર્ષના વેરા બિલ તૈયાર કરવાનું પાલિકા દ્વારા શરૂ કરાયું છે અને વોર્ડ પ્રમાણે હવે માગણાં બિલ બજાવાશે.
નગરપાલિકાના સૂત્રોએ કહ્યું કે, સરકારની રિબેટ યોજના મુજબ મિલકતદાર ચાલુ વર્ષના વેરા એડવાન્સ સમય મર્યાદામાં ભરપાઇ કરશે તેમને વેરાની કુલ રકમમાંથી 10 ટકા રિબેટ મળશે. નગરપાલિકા દ્વારા માગણાં બિલમાં પણ 10 ટકા રિબેટ આપવાની જાહેરાત કરાતાં એડવાન્સ વેરો ભરી રિબેટનો લાભ લેવા મિલકતદારોનો ધસારો શરૂ થશે.ઉલ્લેખનિય છે કે, સરકારની પાછલા બાકી વર્ષોના વેરા વસુલવા માટે પ્રોત્સાહક વળતર યોજના લંબાવીને તા.31 મે સુધી કરવામાં આવી છે. જેમાં પાછલા વર્ષોના તમામ બાકી વેરા ભરનારને પેનલ્ટીમાંથી મુક્તિનો લાભ મળશે. અત્યાર સુધી પાછલા વર્ષોના બાકી વેરા 3761 મિલકતદારોએ ભરપાઇ કરતાં પાલિકાને કુલ રૂ. 2.85 કરોડની વેરા વસુલાત થઇ છે, જેમાં પાછલા વર્ષોના બાકી વેરામાં આ મિલકતદારોને કુલ રૂ.90 લાખ પેનલ્ટીમાંથી મુક્તિનો લાભ મળ્યો છે.
Source – divya bhaskar