સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ થરાદ મુકામે તારીખ ૧૫/૦૮/૨૦૨૨ ના રોજ ૭૬ માં સ્વાતંત્ર્યદિનની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી
જેમાં એનએસએસના પ્રોગ્રામ ઓફિસર મુકેશ રબારીએ પરેડ કરાવી હતી. ધ્વજવંદનના કાર્યક્રમમાં કોલેજના આચાર્ય ડૉ. એમ.જે. મનસુરી દ્વારા ધ્વજ ફહેરાવી સલામી આપવામાં આવી હતી, કોલેજના આચાર્યે મનનીય વક્તવ્ય આપી યુવાનોને દેશના નિર્માણમાં લાગી જવા હાકલ કરી હતી અને ત્યારબાદ સરકારી વિજ્ઞાન કૉલેજ થરાદના પ્રિન્સિપાલ ડૉ.જગદીશભાઈ પ્રજાપતિએ આઝાદીના વીર સપૂતોને અને તેમના બલિદાનને યાદ કર્યા હતા.
સાંસ્કૃતિક કાર્યક્રમમાં જય હો, દેશ રંગીલા, સંદેશે આતે હૈ, સબસે આગે હોંગે હિન્દુસ્તાની, એ વતન તેરે લિયે વગેરે જેવા દેશભક્તિ ગીતો પર ડાન્સ અને ગીતો રજૂ થયા હતા, ઉપરાંત દેશભક્તિના વાતાવરણમાં વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધારવા પ્રિ.ડો. જગદીશ પ્રજાપતિ, ડૉ. એ.બી.વાઘેલા, ડૉ. હર્ષદ લકુમે પણ સુંદર દેશભક્તિ ગીતો રજૂ કર્યા હતા તથા કોલેજમાં આઝાદીના અમૃત મહોત્સવ અને હર ઘર તિરંગા કાર્યક્રમ અંતર્ગત ૨ જી ઓગસ્ટ થી ૧૩ ઓગસ્ટ સુધી વિવિધ સ્પર્ધાઓ રંગાકલા કૌશલ્ય ધારા, ગીત સંગીત નૃત્ય અને નાટ્ય ધારા, સર્જનાત્મક અભિવ્યક્તિ ધારા, એનએસએસ વગેરે દ્વારા આયોજન કરાયું હોઈ વિજેતા વિદ્યાર્થીઓને પ્રમાણપત્રો એનાયત કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
આ સમગ્ર સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન ડૉ. એ.બી. વાઘેલા, ચિરાગ શર્મા અને એનએસએસ વિભાગે કર્યું હતું તેમજ કાર્યક્રમની આભારવિધિ કોમર્સ વિભાગના પ્રા. મુકેશ રબારીએ કરી સૌનો આભાર માન્યો હતો તથા દ્રશ્ય શ્રાવ્ય વિભાગના કે.કે. કટારિયા, શૈલેષભાઈ ચૌધરી, મુકેશભાઈ, અનિલ, અલ્પેશ, અણદાભાઈએ સુંદર કામગીરી બજાવી હતી, આ રાષ્ટ્રીય પર્વને સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ તથા સરકારી વિજ્ઞાન કોલેજના તમામ અધ્યાપકો અને કર્મચારીઓએ ભારે જહેમત ઉઠાવી સફળ બનાવ્યો હતો.
અહેવાલ : અરવિંદ પુરોહિત, થરાદ